પાટણ, 26 જૂન (હિ.સ.)પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથજીના મંદિરમાં 143મી રથયાત્રા પૂર્વે મહાઅભિષેક વિધિનો ભવ્ય આરંભ થયો હતો. સવારે મંદિર પરિસરમાં 35 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ષોડશોપચાર મહાઅભિષેક વિધિ કરાઈ હતી. યજમાન તરીકે ગોરધનભાઈ ઠક્કર (બેબા શેઠ), નીતાબેન ઠક્કર અને અન્ય પાંચ પરિવારોએ પંચામૃતથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો અભિષેક કરીને પૂજાનો લાભ લીધો હતો.
પરંપરા મુજબ ભગવાનને નવીન વસ્ત્રો ધરાવવામાં આવ્યા અને મંદિર તથા ભગવાનના સ્થાનકને ફુલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. બપોરે 12:39 કલાકે શુભ વિજય મુહૂર્તમાં યજમાન પરિવાર દ્વારા “જય રણછોડ, માખણચોર”ના નાદ સાથે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં હાજરી આપી દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો.
અષાઢી બીજના દિવસે બપોરે 12:39 કલાકે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી ચાંદીથી સજ્જ રથોમાં બિરાજમાન થઈ રથયાત્રા નીકળશે, અને બપોરે 2:00 વાગ્યાથી નગરચર્યા શરૂ થશે. સમગ્ર યાત્રા સમરસતા, સદભાવના અને સર્વધર્મ સમાનતાનો સંદેશ લઈ નિકળશે. રથયાત્રા સમિતિના સેવકોમાં અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ છવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર