પાટણ, 26 જૂન (હિ.સ.)પાટણના જગન્નાથ મંદિરમાં 143મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ ખાસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. બુધવારે રાત્રે 8 થી 11 વાગ્યા સુધી મંદિર પરિસરમાં પ્રથમવાર 31 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું. કથાના મુખ્ય યજમાન તરીકે ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ (રાવલ એન્ટરપ્રાઇઝ) પરિવારે સેવા આપી હતી, જ્યારે અન્ય 25 પરિવારોએ પણ યજમાન પદનો લાભ લીધો.
કથા દરમિયાન ભક્તિ સંગીત અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. તમામ યજમાનો અને શ્રદ્ધાળુઓએ કથા શ્રવણ કરીને પૂણ્યનો લાભ લીધો. આ વિશેષ કથા શ્રવણનો લાભ પાટણના અનેક ધર્મપ્રેમી નાગરિકોએ લીધો.
ઉલ્લેખનીય છે કે પાટણની રથયાત્રા ગુજરાતમાં બીજી અને દેશમાં ત્રીજા ક્રમે ગણાય છે. રથયાત્રા સમિતિ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના કાર્યકરો અને મંદિરના પૂજારીએ મહેનત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર