પોરબંદર, 26 જૂન (હિ.સ.) : અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિતે ખારવા સમાજના ઈષ્ટદેવ શ્રીરામદેવજી મહાપ્રભુજીની ભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે તા. 27 જૂનના રોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા શ્રીરામદેવજી મહાપ્રભુજીની વિશાળ શોભાયાત્રા યોજાશે જેમાં વહેલી સવારે 9 કલાકે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મંદિરેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે જે શહિદ ચોક, શીતલા ચોક, માણેકચોક, કસ્તુરબા ગાંધી રોડ, જશુભાઈ શિયાળ માર્ગ અને પાલાના ચોક વિસ્તારમાંથી પસાર થઈ બપોરે 2 કલાકે શ્રીરામદેવજી મહાપ્રભુજીનાં નિજ મંદિરે પૂર્ણ થશે. ત્યાર બાદ બપોરે 3 કલાકે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પર્વ નિમિતે ખારવા સમાજના માજી વાણોટ સ્વ. જશુભાઈ ગગનભાઈ શિયાળ, સ્વ. હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળ અને રણછોભાઈ ગગનભાઈ શિયાળ પરિવાર તરફથી ખારવાવાડમાં આવેલા સાગરભુવન હોલ ખાતે બપોરે 12 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવમાં શહેરના તમામ જ્ઞાતિ પ્રમુખો, સામાજિક સંસ્થાઓના વડા, ધાર્મિક વડા, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નગરજનો અને શ્રેષ્ઠીઓ શ્રીરામદેવજી હારતોરા કરી આશીર્વાદ લઈ સાથે ખારવા સમાજના વાણોટ અને પંચપટેલોનું સ્વાગત કરવાની પરંપરા વર્ષોથી પ્રચલિત છે. ત્યારે આગામી તા. 27 જૂન ને શુક્રવારના રોજ યોજાનારી આ ધર્મોત્સવમાં બહોળી સંખ્યામાં લોકોને જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya