પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદર મનપા સંચાલિત ઓડદર ગૌશાળામાં શહેરમાંથી રખડતા પશુઓને પકડી ત્યાં રાખવામાં આવે છે. હાલ ઓડદર ગૌશાળામાં 500 થી વધુ આખલાઓ રાખવામાં આવ્યા છે. પરંતુ હાલની વરસાદની પરિસ્થિતિમાં ગૌશાળાના મેદાનમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે તેમજ આ ગૌશાળામાં પશુઓ માટે અપૂરતો ઘાસચારો સફાઈનો અભાવ ચિકિત્સકના અભાવ સહિતની જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
ઓડદર ગૌશાળામાં મૂંગા પશુઓને સુવિધા મળી રહે તે માટે જીવદયા પ્રેમી ગ્રુપ દ્વારા સતતને સતત પોરબંદર મનપાને લેખિત રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ પશુઓને હજુ પણ પૂરતી સુવિધા ન મળતા આજે બુધવારે મનપા કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મનપા કમિશ્નરને જાણ પણ રૂબરૂ જીવદયા પ્રેમી ગ્રૂપના લોકોએ કરી હતી. આ સમયે જે વાત કમિશ્નરે મૌખિક રીતે કરી હતી. તે વાત મીડિયા સમક્ષ જીવદયા પ્રેમી ગ્રૂપના રમેશભાઈ ઓડેદરાએ કહ્યું હતું કે, પોરબંદર મનપા કમિશ્નર હસમુખ પ્રજાપતિએ મૌખિક રીતે જણાવ્યું હતું કે, તમારી માંગણી 15 દિવસમાં પુરી કરવામાં આવશે. અને ગૌશાળામાં જે અત્યારે સુવિધાનો અભાવ છે તે સુવિધાઓ પુરી કરવામાં આવશે. તે માટે ટૂંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા પણ કરવામાં આવશે 15 દિવસમાં પશુઓને જે પણ સુવિધાની ઘટ છે. તે આપવાની ખાતરી આપી હતી. તેમ રમેશભાઈ ઓડેદરાએ જણાયું હતું. આ સાથે તેઓએ વધુમાં મીડિયા સમક્ષ એમ જણાવ્યું હતું કે, ગૌશાળામાં એક ટ્રેક્ટરની વ્યવસ્થા 8 માણસોનો સ્ટાફ, એક ચિકિત્સક, પૂરતો ઘાસચારો સહિતની માંગણીઓ લેખિતમાં કરવામાં આવી છે તે 15 દિવસમાં પુરી કરી આપવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓની માંગ છે. જો 15 દિવસમાં ઓડદર ગૌશાળામાં પૂરતી સુવિધા નહિ આપવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya