પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદરના સરકાર હસ્તકના પાંચ મંદિરોના વિકાસ માટે 20 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. જેમાં સુદામા મંદિર સહિતના પાંચ મંદિરોનું વિકાસ કાર્ય યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે. આ રકમમાંથી પ્રથમ તબક્કામાં 4 કરોડ ના ખર્ચે વિકાસની કામગીરી વર્ષ 2025 માં જ શરુ કરી દેવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીના વિશ્વમાં આવેલા એક માત્ર પોરબંદરમાં આવેલા સુદામાજીના મંદિરના વિકાસની પાંખો લાગી છે. પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા પોરબંદરના સુદામા મંદિરના વિકાસ માટે કરોડો રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. વિશ્વમાં સુદામાજી નું મંદિર એક માત્ર પોરબંદરમાં આવેલું હોવા છતાં તેના વિકાસ માટે સરકાર દ્વારા કોઈ ખાસ કામગીરી કે જાહેરાત કરવામાં આવી ન હતી. જેના પગલે પોરબંદરમાંથી ભાજપ કોંગ્રેસ સામાજિક સંસ્થાઓ સહિતના લોકો દ્વારા અનેક વખત સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. સુદામા મંદિર ઉપર અમુક સ્થળોએ વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે. તેમજ સુદામા મંદિરના પટાંગણમાં આવેલૂ બાળ ક્રીડાંગણ પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે. તેમજ ફુવારાઓ પણ બંધ હાલતમાં અને ખુબ મહત્વનું કહી શકાય તેવું કૃષ્ણ-સુદામાનું ભીંત ચિત્ર પણ દયનિય હાલતમાં છે. ત્યારે આ મંદિરનો વિકાસ કરવો ખુબ જરૂરી છે કારણ કે, અન્ય રાજ્યોમાંથી યાત્રાળુઓ પોરબંદરના સુદામા મંદિરના દર્શન કર્યા બાદ તેમની યાત્રા પૂર્ણ ગણાઈ છે. હજારો લોકો પોરબંદરના સુદામા મંદિરની મુલાકાતે આવે છે. આ મંદિરની મુલાકત રાજ્યના મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકારણીઓએ પણ લીધેલી છે. અનેક રજૂઆતો બાદ છેલ્લે માધવપુરના મેળા વખતે આવેલા પ્રવાસન સચિવ રાજેન્દ્ર પ્રસાદે સુદામા મંદિરની મુલાકાત લીધી હતી. બાદ મામલતદાર કચેરી તરફથી સરકાર હસ્તકના 11 પૈકી 5 મંદિરોના વિકાસ માટે દરખાસ્ત કરવામાં આવી અને સુદામા મંદિર, પોરાઈ માતાજી મંદિર, બહુચરાજી મંદિર, ભોજેશ્વર મહાદેવ અને ભાવેશ્વર મહાદેવર મંદિરના વિકાસ માટે 20 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. ખાસ મંદિરના પટાંગણની દીવાલ ફરતે અન્નક્ષેત્ર સહિતની જે પણ જગ્યાઓ છે તે ખાલી કરવા નોટિસો આપવામાં આવી છે. સાથે મંદિરના વિકાસમાં વિશેષમાં જોઈએ તો સુદામા મંદિરના ગેટ સામે જે પાર્કિંગ છે તેને પણ સુદામા મંદિરના પટાંગણ તરીકે વિકસાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya