‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝનની ઉજવણીના ભાગરૂપે તા.12મીએ બારડોલી ખાતે ખેડૂત સંમેલન અને 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન'નો સમાપન સમારોહ યોજાશે
સુરત, 9 જૂન (હિ.સ.)- ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝનની ઉજવણી અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તા.12મી જૂનના રોજ સવારે 10:30 વાગે બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદ
Surat


સુરત, 9 જૂન (હિ.સ.)- ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝનની ઉજવણી અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તા.12મી જૂનના રોજ સવારે 10:30 વાગે બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિમંત્રી, સાંસદ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેના આયોજન અર્થે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

જિલ્લા કલેકટરએ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બારડોલી ખેડૂત સંમેલનમાં આવનાર ખેડૂતોને સરદાર પટેલના વિઝનરી વ્યકિતત્વ અને ખેડૂત સત્યાગ્રહ વિશે માહિતગાર કરવા, ખરીફ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન, નફાકારક પ્રાકૃતિક કૃષિ, ટકાઉ ખેતી, સોઈલ હેલ્થ કાર્ડના લાભ, નેનો ફર્ટીલાઈઝર યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગ તેમજ આધુનિક બિયારણ અંગે ખેડૂતોને માહિતગાર કરાશે. આ ઉપરાંત ખેતીવાડી, બાગાયત, પશુપાલનની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિષે પરિસંવાદ તેમજ 20 કૃષિ પ્રદર્શન સ્ટોલ ઉભા કરી ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાશે. આ સંમેલનમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ જોડાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે યોજનાઓના મંજૂરીપત્રો, કૃષિ કિટ્સ, સન્માનપત્રો, સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારિ શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande