વલસાડ, 9 જૂન (હિ.સ.)- રાજ્યના નાગરિકો તેમજ બાળકોમાં મેદસ્વિતાનું વધતુ પ્રમાણ અટકે અને સ્વસ્થ જીવનશૈલી જીવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રોટોકોલ પ્રેક્ટિસ અને યોગ સમર કેમ્પમાં ભાગ લીધેલા બાળકોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રેક્ટિસ વલસાડ નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ, બ્રહ્માકુમારી અબ્રામા સેન્ટરના સંચાલિકા સંગીતા દીદી, ઉત્કર્ષ મહિલા એસોસિએશનના પ્રમુખ વૈશાલી પ્રજાપતિ, રણભૂમિના ફાઉન્ડર કેયુર પટેલ અને ઉડાન ધ વિંગ્સ ઓફ ટેલેન્ટના ફાઉન્ડર જાનકી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સાધકોએ પણ ભાગ લીધો હતો. દરેક સાધક માટે સ્વચ્છ પર્યાવરણની થીમ સાથે ઉત્કર્ષ મહિલા એસોસિએશનના પ્રમુખ વૈશાલી પ્રજાપતિ દ્વારા એક એક પ્લાન્ટ ભેટમાં આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આસન, પ્રાણાયામ, ધ્યાન, દિનચર્યા અને આહાર અંગે જાણકારી આપવામાં આવી હતી. યોગનો વ્યાપ ઘર ઘર સુધી પહોંચે તે માટે ટ્રેનર બનવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના મેન્ટર પ્રકાશભાઈ ઠોસર દ્વારા દરેક સાધકો માટે યોગના અનુરૂપ પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને ટ્રેનરોએ જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે