પાટણ, 9 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના ઝીલીયા ગામમાં 135 પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ પંચ પરગણું યોજાયું હતું. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજજનોની હાજરી રહી હતી. અનેક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરીને સર્વસંમતિથી નવા સુધારા અને નિયમો નક્કી કરવામાં આવ્યા.
લગ્ન વ્યવહાર માટે ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી છે. દાપા માટે ₹4,135, પ્રથમ આણા ₹1,135, વરવધાના વ્યવહાર માટે ₹835 અને સાજનાના આણામાં ₹2,135 નક્કી કરવામાં આવ્યા છે. મામેરામાં યથાશક્તિ દાગીના કે રોકડ આપી શકાશે. હળદી રસમની ઉજવણી મહિલાઓ તેમના ઘરે કરી શકશે તેમ નક્કી થયું છે.
વરઘોડા બાબતે પણ નવા નિયમો લાગુ કરાયા છે. હવે વરપક્ષ પોતાના ગામ કે ઘરઆંગણે ડીજે સાઉન્ડ સાથે વરઘોડો કાઢી શકશે, પરંતુ કન્યાના ગામમાં વરઘોડો અને ડીજે લઇ જવાની મનાઈ રહેશે. વણકર સમાજનો કેળવણી ફંડ ફાળો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમની વ્યવસ્થા કેશણી ગામના વણકર સમાજના સભ્યો દ્વારા કરવામાં આવી હતી, જેમણે મંડપ, કૂલર, ખુરશી, ગાદલા તથા ચા-કોફી અને મિનરલ વોટર જેવી સુવિધાઓ પૂરી પાડી હતી. ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણના આગેવાનોએ બંને પક્ષોની એકતા માટે મંતવ્યો રજૂ કર્યા હતા અને પંચ પરગણું દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે બંને પક્ષોના પ્રતિનિધિઓને મળીને એકતા માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર