ગીર સોમનાથ 14 જુલાઈ (હિ.સ.) કોડિનાર-વેરાવળ નેશનલ હાઈવે પર પ્રાંચીથી આગળ જતાં સરસ્વતી નદી પરનો બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી અને સમારકામ કરાવવાની જરૂરિયાત હોવાથી ભવિષ્યમાં અકસ્માતની દૂર્ઘટના ન બને તે માટે પુલ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર કોડિનાર-વેરાવળ નેશનલ હાઈવે પર પ્રાંચીથી આગળ જતાં સરસ્વતી નદી પરના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હસ્તક આવેલ બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મૂકવા તેમજ આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલા વાહનોના વૈકલ્પિક રૂટ તરીકે પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા ઓવર બ્રીજના સર્વિસ રોડથી ગોજારા કાદા પાસે આવેલ ઓવરબ્રીજ નીચેથી પ્રાંચી-ઘંટીયા ગામમાં આવવા-જવા નક્કી કરાયું છે.
આ પુલ પરથી બાર પેસેન્જરની ક્ષમતાથી ઉપરના મેક્સી કેબ વાહનો તેમજ ૭૫૦૦ કિ.ગ્રાથી વધુ વજન ધરાવતા તમામ વાહનોના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે.
આ ઉપરાંત, જેમાં વિદ્યાર્થીઓનું પરિવહન થતું હોય તેવા વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ