ગીર સોમનાથ, 14 જુલાઈ (હિ.સ.) હર ઘર હરિયાળી' અભિયાન અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીની ઉપસ્થિતિમાં નગરપાલિકા તથા ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણના રામરાખ ચોકમાં ૫૦૦ થી વધુ રોપાઓનું વિતરણ કરાયું હતું.
આ સાથે જ પ્લાસ્ટિક મુક્તી તરફ એક પગલું ભરતાં પ્લાસ્ટિક મુક્ત શહેર અંતર્ગત સ્થાનિક નાગરિકોને કાપડની થેલીઓ પણ આપવામાં આવી હતી.
સ્થાનિક રહીશો તરફથી આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને મોટી સંખ્યામાં લોકોએ આ પહેલમાં જોડાઈને વેરાવળ-સોમનાથને વધુ હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પરીખના માર્ગદર્શનમાં, કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારની પહેલ વેરાવળને વધુ હરિયાળું, સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ યોગદાન પુરું પાડશે.
ઉલ્લેખનીય છેકે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસથી દર શનિવારે વેરાવળ-સોમનાથના વિવિધ વિસ્તારોમાં ૫૦૦ જેટલા છોડ તથા કપડાની થેલીઓનું વિતરણ સતત કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ, ઈન્ડિયન રેયોનના પ્રતિનિધિઓ તેમજ ચોક્સી કોલેજ, વેરાવળના એન.એસ.એસ. કેડર્સ, સ્થાનિક આગેવાનો તથા નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ