અમદાવાદ, 16 જુલાઈ (હિ.સ.) : દેશનાં ગૌરવ ગીત 'વંદે માતરમ્'નાં 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યનાં વિવિધ શહેરોમાં 'વંદે માતરમ્' સપ્તાહ યાત્રા ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કશ્યપ સભાગૃહ ખાતે 'વંદે માતરમ્'ની રચના વિશે શોધયાત્રાની અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વિદ્યાલક્ષી વિવિધ કામગીરીની દસ્તાવેજી માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રઋષિ શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ ગૌરવ ગીત 'વંદે માતરમ્'ની રચના વર્ષ 1875માં કરી હતી. વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, તે રાષ્ટ્રને એક તારમાં પરોવનાર સંદેશ છે. આ ગીતના ઈતિહાસ તેમજ મહત્વ વિશે સંશોધક શ્રી મિલિંદ સબનીસની ટીમ દ્વારા ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શન થકી અભિવ્યક્તિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. ડૉ. સુશ્રી અમીબહેન ઉપાધ્યાય, પુણેથી સંશોધક મિલિંદ સબનીસ, રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના પ્રમુખ હર્ષદ યાજ્ઞિક, મહામંત્રી ઋત્વિબહેન પટેલ, ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના ડૉ. હિતેશભાઈ પટેલ, પ્રા. ચિરાયુ પંડિત તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિદ્યાપરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ