જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્ન તબીબ તરીકે કાર્યરત રિયા ગીનોયા નામની 22 વર્ષની મેડિકલ સ્ટુડન્ટે ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું અનુમાન લગાવી ને તેણીને બેશુદ્ધ અવસ્થામાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, દરમિયાન તેણી મોડેથી ભાનમાં આવી છે, અને વધુ પડતા કામના ભારણના કારણે એકથી વધુ ગોળીઓ ખાઈ લેતાં વિપરીત અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોતાના ઉપર કામ અભ્યાસની સાથે હોસ્પિટલના કામનું સતત ભારણ રહેતું હોવાથી ગઈકાલે તેણીને ખૂબ જ માથું દુખવા લાગ્યું હતું, અને તેણીએ એકી સાથે ત્રણથી ચાર ગોળીઓ ખાઈ લીધી હતી. જેથી તેણીને વિપરીત અસર થઈ હતી.
દરમિયાન સારવાર માટે જી.જી. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રિના તેણીની તબિયતમાં સુધારો થતા ભાનમાં આવી ગઈ હતી, દરમિયાન તેણીએ પોતાને કામનું ભારણ હોવાથી વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હોવાનું જણાવ્યું હતું. જયારે તેની તબિયતમાં સુધારો થઈ જતાં રજા આપી દેવામાં આવી છે.
તબીબના પરિવારજનો, કે જેઓ સુરત રહે છે. જેઓને ટેલીફોનિક જાણ કરી દેવાથી પરિવારજનો પણ મોડી રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા, અને હાલ તેઓ પોતાની સાથે લઈ ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ