ભુજ – કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) અબડાસામાં નલિયા ખાતે ટેકાના ભાવે બાજરી ખરીદીની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોવાથી અનેક ખેડૂતોને બાજરાનો જથ્થો અટકી ગયો હોવાથી ખેડૂતો પોતાના ટ્રેકટર કે અન્ય વાહનોની કતાર લગાવીને પરત ફર્યા હોવાથી ખરીદીની મુદ્દત વધારવા વિવિધ સ્થળે રજૂઆત કરવામાં આવી હતી. 15મી જુલાઇ સુધીની મુદ્દતમાં કુલ 600 ખેડૂત ઓનલાઇન નોંધાયા હતા. જેમાં હજુ 200 ખેડૂતનો વારો બાકી છે.
સવારના પહોરમાં કિસાનો પહોંચી આવે છે, વારો નથી આવતો
અબડાસામાં બાજરીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. ટેકાના ભાવે ખરીદી કરવાની છેલ્લી તા. 15-7 રાખવામાં આવી હતી. . ખેડૂતોને સરકાર તરફથી સારા ભાવ મળી રહે એ હેતુસાર અહીં કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને નલિયા મધ્યે ખેડૂતો પોતાના ટ્રેકટરો મારફતે સવારથી પહોંચી આવે છે. પણ ખરીદી કેન્દ્ર મોડું ચાલુ થતું હોવાથી અને અહીં મજૂરો પણ ઓછા હોવાથી અને એક ખેડૂતને આખો દિવસ લાગી જતો હોય છે.
ધીમી કામગીરી, સાંસદ અને ધારાસભ્યને રજૂઆત
ધીમી કામગીરી અને અગવડતાના કારણે કેટલાક ખેડૂતોએ અન્ય જગ્યાએ પણ પોતાના વેપાર કરી નાખ્યા છે. જાણવા મળ્યું કે, ઓનલાઇન અરજીથી 600 ખેડૂતોએ અરજી કરી હતી, પણ હજુ પણ 200 જેટલા ખેડૂતો હજુ પણ બાકી રહી ગયા છે જેથી વેચાણથી વંચિત રહી ગયા છે. ધરતીપુત્રોને નુકસાન ન થાય માટે જ્યાં સુધી બધાની પેદાશ લેવાઇ ન જાય ત્યાં સુધી આ કેન્દ્ર ચાલુ રહે એવી માંગ જિલ્લા પંચાયતના સદસ્ય પુરુષોત્તમ મારવાડાએ અબડાસાના ધારાસભ્ય અને સંસદ સભ્યને કરી છે. બીજી બાજુ ખરીદીનાં કારણે હજી સુધી ત્રણસો જેટલા ખેડૂતો પાસેથી બાજરી ખરીદ થઇ છે તેવી રજૂઆત તાલુકાસ્તરેથી શિવજીભાઇ દ્વારા કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA