પાટણ, 17 જુલાઈ (હિ.સ.) 14 જુલાઈ 2025ના રોજ સાંતલપુર સ્થિત સરકારી વિનયન કોલેજમાં FYBA સેમેસ્ટર-1ના નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરે પોતાના ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને જીવનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
પછી સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક પ્રા. સુદાભાઈ આર. કટારાએ વિદ્યાર્થીઓને વિવિધ વિષય અને અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ પ્રદીપસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને ABC ID અને કોલેજની સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી.
કાર્યક્રમનું સંચાલન પણ પ્રા. સુદાભાઈ કટારાએ કર્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરના માર્ગદર્શન હેઠળ થયું હતું. કોલેજના સેવક મિત્રોએ સ્વચ્છતા અને વ્યવસ્થાપનનું ઉત્કૃષ્ટ રીતે નિર્વહન કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર