પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : 18 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંતલપુર ખાતે રૂ.110.28 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આવી રહ્યા છે. પરંતુ મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસે આંદોલનની ચેતવણી આપી છે.
કોંગ્રેસના પ્રદેશ યુવા મહામંત્રી આદિત્ય જુલાએ સ્થાનિક જનસમસ્યાઓ અંગે આક્ષેપ કર્યો છે. તેમણે સાંતલપુરમાં તાલુકા કચેરીઓની માંગ કરી છે અને જણાવ્યું કે ગ્રામિણ લોકોને વારાહી સુધી ટોલ ભરીને કામ કરવા જવું પડે છે. સામખયાળીથી રાધનપુર સુધીનો નેશનલ હાઇવે 27 ખરાબ હાલતમાં છે અને ત્યાં વારંવાર અકસ્માતો થાય છે.
ભારતમાલા યોજના હેઠળ તૈયાર કરાયેલો સાંતલપુરથી પંજાબ જતો માર્ગ ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો છે. ઉપરાંત, રાધનપુરમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કોંગ્રેસે કરી છે. જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો કોંગ્રેસે સાંતલપુરથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર