સુરત, 17 જુલાઈ (હિ.સ.)- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર સુરત
જિલ્લાના તમામ મેજર તથા માઈનોર બ્રિજોનું ઇન્સ્પેક્શનની કામગીરી પુર્ણ કરવામાં આવી
હતી. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરિયાન માર્ગ અને મકાન વિભાગ-2
સ્ટેટ હસ્તકના 93 બ્રિજો પૈકી 42 જેટલા મેજર તથા 51 માઈનોર બ્રિજોની ચકાસણી હાથ
ધરવામાં આવી હતી. જેમાં અરેઠ-બૌધાન-ધલા-કરજણ રસ્તા આવેલા બ્રિજ તથા
ગલતેશ્વર-ટીંબા-શામપુરા-બારડોલી પર આવેલ બ્રીજ તેમજ મહુવા-અનાવલ રોડ પરનો બ્રીજને
ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. જયારે માર્ગ અને મકાન વિભાગ-1 હસ્તકના પાંચ
માઈનોર તથા એક મેજર મળી કુલ છ બ્રિજની ચકાસણી પુર્ણ કરવામાં આવી છે.
આ કવાયતના ભાગરૂપે ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપર વર્ષ 2004માં નિર્મિત
મેજર બ્રિજનું નિરીક્ષણ સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઈજનેર
એ.જી.વસાવાએ કર્યું હતું. તેમણે બ્રિજની માળખાગત સ્થિતિ તેમજ સુરક્ષા મુદ્દાઓ અંગે
વિસ્તૃત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન બ્રિજના વોટર સ્પાઉટ, ક્રેશ
બેરિયર, તેમજ એપ્રોચના એમ્બેકમેન્ટનો પણ અવલોકન કરવામાં આવ્યું
હતું. અધિક્ષક ઇજનેરે બ્રિજના સબ સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચરના સ્ટ્રક્ચરલ
મેમ્બરોનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે, બ્રિજમાં સ્પોલિંગ, સ્ટીલ
કોરોશન, હની કોમ્બિંગ કે લિચિંગ જેવી કોઈ માળખાગત ખામીઓ દેખાઈ
આવી નથી.
અધિક્ષક ઈજનેર એ.જી. વસાવાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાહોલ-માસમા ખાડી
બ્રિજનું નિરીક્ષણ કરતા કહ્યું કે, આ ખાડી બ્રિજ વર્ષ 2004માં નિર્માણ પામ્યો હતો. બ્રિજનું સુપર સ્ટ્રક્ચર સોલિડ સ્પેબથી નિર્માણ
પામ્યો છે. છ ગાળાના 10.5 મીટરના પુલનું વિઝ્યુઅલ અવલોકન શ્રેષ્ઠ હોવાથી તેનો
ઉપયોગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સલામત છે. અને બ્રિજનું સ્ટ્રક્ચર સારી
સ્થિતિમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના
માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના તમામ મહત્વના પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવી
રહ્યું છે. તે અનુસંધાને ઓલપાડ તાલુકાનો માસમા ખાડી બ્રિજ પણ પરીક્ષણ હેઠળ લીધો
હતો. બ્રિજનું સુપર સ્ટ્રક્ચર સોલિડ સ્પેનથી બનાવવામાં આવ્યું છે.
બ્રિજના સંચાલન અને ભવિષ્યમાં જરૂરી જાળવણી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા
કરીને જરૂરી સૂચનો કર્યા હતા. નિરીક્ષણ સમયે સુરત માર્ગ અને મકાન વિભાગ-2ના કાર્યપાલક ઇજનેર એન.એન.
પટેલ, માર્ગ અને મકાનના પેટા વિભાગ-3ના નાયબ કાર્યપાલક ઇજનેર
પી.સી.ખીમાણી, મદદનીશ ઇજનેર વી.એચ.પટેલ, બી.જી. માંગુકિયા સહિત અધિક મદદનીશ ઇજનેર પી.બી. સખીયા
ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે