ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પર આવેલ પુલ જર્જરીત હાલતમાં હોવાથી સમારકામ કરવાની જરૂરિયાત જણાતા ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે.
આ જાહેરનામા અનુસાર ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પર આવેલ પુલ ઉના-કોડીનાર નેશનલ હાઇવે તથા ઉના- ભાવનગર નેશનલ હાઇવે પસાર થતો હોવાના કારણે પુલનું નિરીક્ષણ કરતા આ પુલની હાલની સ્થિતિ નબળી જણાય છે.
જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની સંભાવના હોય આગમચેતીના ભાગરૂપે આ બ્રીજનું સમારકામ ન થાય અથવા તો નવુ બાંધકામ ન થાય ત્યાં સુધી ટૂ-વ્હીલ અને ઓટોરિક્ષા સિવાયના તમામ ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે.
આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલ વાહનોના વૈકલ્પીક રૂટ તરીકે (૧) ઉના-કોડીનાર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રિજ હાઈવે થઈ કોડીનાર તેમજ (૨) ઉના-ભાવનગર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ હાઈવેથી આવવા-જવાનું રહેશે.
આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ