જૂનાગઢ 22 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રભારી સચિવઓ દ્રારા જિલ્લા કક્ષાએ જઈને રૂબરૂ નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.જે અન્વયે જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં આજ રોજ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં જર્જરીત ઈમારતો,રોડ રસ્તા રીપેરીંગ,શાળા કોલેજોના મકાનોની મરામત સહિતની બાબતે સમીક્ષા કરી હતી.
પ્રભારી સચિવ દિલીપ રાણાએ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક, માર્ગ અને મકાન વિભાગ પંચાયત, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના મેજર બ્રીજ, માઇનોર બ્રિજ,રોડ, રસ્તા ની સ્થિતિ અંગેની સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત પ્રભારી સચિવ એ અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાંક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા માટે સૂચનો તેમણે કર્યા હતા.
પ્રભારી સચિવ શ્રીએ જર્જરીત ઇમારતો, માધ્યમિક અને પ્રાથમિક શાળાના જર્જરીત વર્ગખંડો, આંગણવાડીઓ , સિંચાઈ વિભાગ યોજના અંતર્ગતના ડેમ, સિંચાઈ યોજનાની વિગતો, વર્ષાઋતુમાં થયેલ નુકસાનીની વિગતો મેળવી અને સમીક્ષા કરી હતી.
પ્રભારી સચિવ એ ખાસ કરીને રોડ રસ્તાના સમારકામ દરમિયાન બેરી કેડિંગની ખાસ વ્યવસ્થા રાખવા, પુલ પર રેડિયમ લગાડવા, બોર્ડ વગેરે રાખવાની સૂચના અધિકારીઓને આપી હતી. તેમજ ખોદકામ દરમિયાન વહીવટી તંત્ર અને દરેક એજન્સીઓને એકબીજાના સંકલનમાં રહી કામ કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલ કામગીરી અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી પ્રભારી સચિવ શ્રી ને આપી હતી.
જિલ્લામાં યુદ્ધના ધોરણે થયેલા ઇન્સ્પેક્શન, બંધ કરાયેલા રસ્તા પુલ અંગે લોકોને અપાયેલી જાણકારી, રસ્તાનું ધોવાણ ન થાય તે માટે સિમેન્ટના પોર્શન બનાવીને લેવાયેલી તકેદારી રૂપે હાલ ચાલી રહેલી કામગીરી, નેશનલ હાઈવે પર થયેલી કામગીરી સહિતના મુદ્દે મુખ્યમંત્રી ની સૂચના મુજબ ટીમ જુનાગઢ દ્વારા થયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠક બાદ પ્રભારી સચીવએ આજ રોજ જૂનાગઢ જિલ્લાની ઐતિહાસિક બહાઉદ્દદીન કોલેજની મુલાકાત લઈ અને નીરીક્ષણ પણ કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની ૧૩૬ સરકારી કોલેજોમાંથી ગુજરાતની પાંચ કોલેજને આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદગી થઈ છે. તેમાંથી ૨ કોલેજ જૂનાગઢની છે. જેમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજ અને બહાઉદ્દીન આર્ટસ કોલેજનો સમાવેશ થાય છે. જે અ્નવયે બહાઉદ્દીન સાયન્સ કોલેજને રૂ.૧૫૩ લાખ અને બહાઉદ્દીન આર્ટસ કોલેજને રૂ.૧૫૩ લાખની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસ, મલ્ટીપરપઝ હોલ, લાઇબ્રેરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફાળવણી કરવામાં આવી છે.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ પોલીસ વડા સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ