પાટણ, 23 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના રૂપાલ ગામની એક પરિણીતાએ ચાણસ્મા પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ તથા ધમકી આપવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન સાત વર્ષ પહેલા પરંપરાગત રીતિ-રિવાજ મુજબ થયા હતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પતિ વારંવાર ત્રાસ આપી રહ્યો હતો.
ફરિયાદ મુજબ, 20 માર્ચ 2025ના રોજ પતિએ પરિણીતાને બીભત્સ ગાળો આપી અને વિરોધ કરતા છાતી પર ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પરિણીતા પિયર જતી રહી હતી, તેમ છતાં પતિએ તેમની અને પરિવારજનોની ગાળાગાળી ચાલુ રાખી હતી. 19 જુલાઈ 2025ના રોજ સાંજે સાત વાગ્યે પતિએ પરિણીતાના ભાઈને મેસેજ કરીને ધમકી આપી હતી.
પરિણીતાએ પતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમો 68મ, 85, 115(2), 296 (જી), 351(2) હેઠળ ફરિયાદ નોંધાવી છે. ચાણસ્મા પોલીસ દ્વારા ફરિયાદ આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર