મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) વિજાપુર ગૌસેવા હિત રક્ષક સમિતિએ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે વિદ્યાર્થીઓ અને સભ્યોની સાથે રેલી કાઢી મામલતદાર કચેરીએ રજુઆત કરી હતી. સમિતિએ મામલતદારશ્રી શૈલેષસિંહ બારીયાને લેખિત આવેદનપત્ર આપી રખડતા ઢોરોને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.
સમિતિએ જણાવ્યું હતું કે ટીબી હોસ્પિટલ વિસ્તાર, સરદાર બાવલા પાસે હાઇવે રોડ, શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ રોડ, ચક્કર પખરી કૂવો, ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તાર તથા માણીપુરા રોડ જેવા વિસ્તારોમાં ઢોરોની અવ્યવસ્થિત અવરજવર ગંભીર સમસ્યા બની છે. અહીં એકપણ એનિમલ હૉસ્પિટલ ન હોવાથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
તેમજ સમિતિએ આ વાત પર પણ જોર આપ્યો હતો કે મોટા શહેરોમાંથી ઢોરોને નાના શહેરો કે ગામડાઓમાં છોડવામાં આવે છે, જ્યાં નગરપાલિકા પાસે ગૌશાળા કે ઢોરવાડની કોઈ જ સુવિધા નથી. પરિણામે આ જવાબદારી પંચરાપોળ પર આવી પડે છે. સમિતિએ રજુઆત કરી હતી કે પાલિકા સાથે મળીને ગૌશાળાની જમીન કે ખાનગી જગ્યામાં ગૌશાળા અથવા એનિમલ હૉસ્પિટલ બનાવી આપવી જોઈએ.
મામલતદારે સમિતિના રજુઆતકર્તાઓને ૧૦ દિવસની અંદર પશુધન માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR