ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય તેમજ તપાસ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યાં છે. જે અંતર્ગત પુલોની સ્થિતિનો ચિતાર મેળવવા પ્રભારી સચિવ જેનુ દેવન ગીર સોમનાથની મુલાકાતે છે.
સવારે તાલાલા, ચિત્રાવડ, વેરાવળ બંદર અને કાજલી હિરણ નદી એમ વેરાવળ-તાલાલા તાલુકાના પુલનું નિરીક્ષણ કર્યા બાદ બપોર પછી પ્રભારી સચિવ શ્રી જેનુ દેવને સૂત્રાપાડા-ઉના તાલુકાના પ્રાચી-ઘંટિયા, સીમાસી, ઉના મચ્છુન્દ્રી નદી પરના પુલની સ્થિતિની સમીક્ષા કરી હતી.
પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રભારી સચિવએ, જે માર્ગો અને પુલોના સમારકામનું કામ પ્રગતિ હેઠળ હોય તો સત્વરે તેનું કામ પૂર્ણ કરવા, રોડ-રસ્તાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરીનું સતત મોનિટરીંગ કરવા, સ્થળ પર જઈ નિયમિત નિરીક્ષણ કરવા સહિતના સૂચનો સંલગ્ન વિભાગના અધિકારીઓને કર્યા હતાં.
પ્રભારી સચિવની મુલાકાત દરમિયાન ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ કલેક્ટર એફ.જે.માકડા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર જે.આર.સિતાપરા સહિત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ