ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ સમા પવિત્ર શ્રાવણ માસ-૨૦૨૫ દરમિયાન, સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવશે. આ ૩૦ દિવસીય શિવોત્સવમાં દેશભરના ભક્તોને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા અર્પણ કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર માત્ર ₹૨૫ બિલ્વ પૂજા સેવા નો પ્રારંભ કરી રહ્યું છે, જેના દ્વારા ભક્તો QR કોડ અથવા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઘરે બેઠા પૂજા નોંધાવી શકશે અને આ બિલ્વાર્ચન પુજારીશ્રી દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવશે.
અગાઉ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી ૨૦૨૩, શ્રાવણ ૨૦૨૩, મહાશિવરાત્રી ૨૦૨૪, શ્રાવણ ૨૦૨૪, અને મહાશિવરાત્રી ૨૦૨૫ ના શુભ અવસરો પર આ વિશેષ બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી હતી. આ પૂજાને ભક્તો તરફથી વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો, જેમાં પાંચ ઉત્સવોમાં ૭.૫૩ લાખ જેટલા પરિવારોએ પૂજા નોંધાવી હતી. આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર દેશભરમાં ભક્તોના નોંધાવેલ- સરનામા પર પોસ્ટ/કુરિયર મારફત મોકલવામાં આવ્યા હતા, જે ભક્તો માટે અત્યંત આનંદદાયક અનુભવ રહ્યો હતો.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા વર્ણવતા કહેવાયું છે કે:
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्म पाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
અર્થાત, શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી, ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર ₹૨૫ ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે, સોમનાથ ટ્રસ્ટ ભક્તો દ્વારા આપવામાં આવેલ સરનામા પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે. અગાઉ ભક્તોને મળેલ આ પ્રસાદથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેવા ભાવિકોને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા, જેનાથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન થયા હતા.
શ્રાવણ-૨૦૨૫ માં સોમનાથ ટ્રસ્ટની આ અનોખી અને લોકપ્રિય ₹૨૫ બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ પ્રારંભ તા. ૨૫ જુલાઈ, ૨૦૨૫ થી શ્રાવણ માસની તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી ભક્તો આ બિલ્વ પૂજા નોંધાવી શકશે.
આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે, ભક્તો સોમનાથ ટ્રસ્ટની આધિકારિક વેબસાઇટ https://somnath.org/BilvaPooja/Shravan ની મુલાકાત લઈ શકે છે અથવા આપેલ QR કોડ સ્કેન કરીને પૂજા બુક કરાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ