પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર તાલુકાના અડવાણા ગામ પાસે સોરઠી નદી પર ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જેના અમુક ગાળાઓ ક્ષતિગ્રસ્ત જણાય છે અને આ સી.ડી.સી. પરથી પંચાયત માર્ગ અને મકાન વિભાગ, પોરબંદર હસ્તકનો અડવાણા-કારાવડનો રસ્તો પસાર થાય છે. અકસ્માત ન થાય તે માટે અડવાણા-કારાવડ રસ્તા પર બ્રીજ બનાવવાની કામગીરી ન થાય ત્યાં સુધી ચેકડેમ કમ કોઝવે પર દ્રીચક્રી વાહનો સિવાયના તમામ વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ કરવા પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. બી. વદર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે પોરબંદર તાલુકાના અડવાણા ગામ પાસે સોરઠી નદી પર આવેલ ચેકડેમ ક્રમ કોઝવેની રીપેરીંગની કામગીરી પુર્ણ ના થાય ત્યાં સુધી દ્રીચક્રી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ કરાયો છે.વૈકલ્પિક રૂટ ઉપરથી દ્રીચક્રી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનોએ અવર જવર માટે અડવાણા થી સોઢાણા-ભોમીયાવદર- શણખલા થઈ કારાવડ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.તેમજ વાહનચાલકે પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું અને અકસ્માતના બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવાની રહેશે તેમજ ભારે વાહન ચાલકે તેમના વાહનની સાઇઝથી વધારે અને ક્ષમતાથી વધારે માલ ન ભરવો.માલ ભરેલ વાહનમાં માલ ઉપર તાલપત્રી બાંધવી અને કોઇપણ વાહનચાલકે મ્યુઝિકલ હોર્નનો ઉપયોગ કરવો નહિ.
ટ્રાફિક ડાયવર્ઝન અંગેના સાઇન બોર્ડ વાહનચાલકોને દિવસ તથા રાત્રીના સમયે સ્પષ્ટ દેખાય તેરીતે લગાવવાઅને ટ્રાફીક નિયમન કરવા પણ જણાવાયું છે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya