મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : ખેરાલુ તાલુકાના વરેઠા ગામે ગતરોજ આયોજિત પ્રાકૃતિક કૃષિ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને ઉપયોગી રીતોની પ્રેક્ટીકલ સમજ આપી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન જીવામૃત, ઘન જીવામૃત અને બીજ સંસ્કાર જેવી પદ્ધતિઓ વિશે વીડિયો દર્શન અને મૌખિક ચર્ચા થકી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ખાસ ઉલ્લેખનીય બનાવ બન્યો જ્યારે ઉત્તર પ્રદેશથી આવી મહેસાણા જિલ્લામાં ભાડા પેટે ૨૪ વિઘા જમીન પર ખેતી કરતા ખેડૂત મુસ્તુકભાઈ અને નૂરમહંમદે કુદરતી ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો. દૂધી, કોળા, રીંગણ અને મરચાની ખેતીમાં તેઓ અત્યાર સુધી રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ તાલીમ બાદ તેમણે જણાવ્યું કે, હું હવે કોઇ પણ કેમિકલ નો ઉપયોગ નહીં કરું અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન મુજબ પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવીશ.
તેમણે પશુપાલન ન હોવાના કારણે આત્મા પ્રોજેક્ટના બીઆરસી યુનિટ પાસેથી જીવામૃત અને ઘન જીવામૃત મેળવી તેના ઉપયોગનો સંકલ્પ લીધો.આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના BTM ગોવિંદભાઈ પ્રજાપતિ, ATM નરેશભાઈ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહસંયોજક રામજી ઠાકોર તથા CRP/સખી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR