- જળ સપાટીની નીચે રહેલ પુલના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે.
આ અંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની છે. આથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલોના બાંધકામની ગુણવત્તા, ખાસ કરીને જળ સપાટીની નીચેના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ તપાસ અભિયાનમાં આધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. પાણીની અંદર પુલના પાયા, સ્તંભો અને અન્ય માળખાકીય તત્વોમાં કોઈ ક્ષતિ કે નબળાઈ છે કે કેમ, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ઇજનેરો અને ટેકનિશિયનોનો સમાવેશ થાય છે. અને આ ટીમો ઝડપભેર આ કામગીરી પૂર્ણ કરવા માટે કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT