ભુજ – કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) : વરસાદની ઋતુમાં રસ્તા અને પુલ સુધારણાના કામો તાકીદે કરવામાં આવી રહ્યા છે અને પ્રભારી સચિવ સહિતના અધિકારીઓએ સીધી નજર તળે સમીક્ષા કરી છે ત્યારે કાયદો વ્યવસ્થાના મામલે પણ કચ્છમાં અધિકારીઓ અને પદાધિકારીઓની સીધી નજર ઉભી થઇ છે. રાજયના પોલીસવડા વિકાસ સહાયે 11 જુલાઇએ ભુજની મુલાકાત લીધી હતી અને હવે 24મી જુલાઇએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ આવી રહ્યા છે. તેઓ પણ લોકોને મળીને સમસ્યાઓ સાંભળવાના છે તેમ તેમણે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જણાવ્યું છે. તેઓ સવારે કચ્છ આવશે અને સાંજે મોરબી જશે. કચ્છમાં 10 તાલુકામાંથી કયા તાલુકામાં અને કયા ગામ શહેરમાં જશે એ બપોર સુધી કંઇ જાણવા મળ્યું ન હતું.
બસ મથકને આડે આવતી પાલિકાની દૂકાનોનો નિર્ણય જરૂરી
ગૃહરાજ્ય પ્રધાન ઉપરાંત ઉદ્યોગ, પરિવહન, યુવક અને રમતગમત સહિતના ખાતાના યુવામંત્રી હર્ષ સંઘવી 24મી જુલાઇએ લોકોના પ્રશ્નો સાંભળવા આવવાના છે. ત્યારે ભુજના એસ.ટી.ના મધ્યસ્થ બસ સ્ટેશનની આડે આવતી નગરપાલિકાની દુકાનોનો નિર્ણય ક્યારે આવશે તે સવાલ વર્ષોથી વણઉકેલ્યો રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર તરીકે તેઓ અગાઉ પણ અહીં આવી ચૂક્યા છે અને જે અવરોરૂપ દૂકાનો છે તેમાં પાંઉભાજીનો સ્વાદ પણ લઇ ચૂક્યા છે ત્યારે ભુજનું બસ પોર્ટ બહારથી પણ પોર્ટ જેવું દેખાય અને એસ.ટી. બસોના વાહન વ્યવહારને આવાગમનમાં સરળતા રહે એ મુદ્દો ઉકેલવાની સૌને આશા છે. નોંધનિય એ પણ છે કે, પરિવહન મંત્રી તરીકે તેમણે અગાઉ રાજકોટથી ભુજ એસ.ટી.ની વોલ્વોમાં મુસાફરી પણ કરી હતી.
કોંગ્રેસ પરિણામલક્ષી રજૂઆતો કરે તો થાય
કચ્છની તેમની મુલાકાતો અવારનવાર થઇ છે ત્યારે મૂળ સમસ્યાઓનો ઉકેલ ઈચ્છનિય મનાઇ રહ્યો છે. એ પણ મહત્ત્વનું છે કે, કચ્છમાં વિરોધપક્ષ તરીકે પાલિકા અને જિલ્લાસ્તરે કોંગ્રેસ માત્ર રજૂઆતો કરીને બેસી જાય છે તેવા માહોલમાં પરિણામલક્ષી રાજકીય ભૂમિકા ભજવે તો ભુજ બસ મથક સહિતના મામલે પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA