ભુજ - કચ્છ, 24 જુલાઇ, (હિ.સ.) ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં 24મી જુલાઇએ રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છની મુલાકાત લેવાના છે અને લોકોના પ્રશ્નો પણ સાંભળવાના છે.
કચ્છ અને મોરબી જિલ્લામાંથી જપ્ત જથ્થો નષ્ટ કરાશે
પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો આવતી કાલે નાશ કરવામાં આવશે. કોર્ટમાંથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મેળવ્યા બાદ, રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના 11, પશ્ચિમ કચ્છના 16 અને મોરબી જિલ્લાનો 1 કેસ મળી કુલ 28 કેસનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે.
કરોડોના ડ્રગ્સનો નાશ કરવામાં આવશે
• ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ 82.616 કિલોગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂપિયા 8,26,16,00,000 છે.
• માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ 105.428 કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂપિયા 44,57,50,૦૦૦/- છે.
• મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 8986.2 લીટર કોડીનયુક્ત સિરપ (બોટલ નંગ 89862), જેની અંદાજિત કિંમત રૂપિયા 1,84,64,843 છે.
અન્ય માદક પદાર્થોનો પણ નાશ થશે
ઉપરોક્ત કેસો ઉપરાંત, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય 25 કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઈન, ચરસ, મેફેડ્રોન, પોષડોડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ 129.368 કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો 74.213 કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA