ભુજ- કચ્છ, 24 જુલાઇ (હિ.સ.) : કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે વિકાસની ખૂટતી કડીઓ બાબતે રજૂઆત કરાઇ હતી. માતાના મઢ યાત્રાધામ પ્રવાસન બોર્ડ દ્વારા થયેલા 32 કરોડના વિકાસકાર્યોની સરાહનીય છે, પણ આશાપુરા મુખ્ય મંદિરને જોડતા રસ્તાઓનું સમારકામ કરવું જરૂરી છે. અવારનવાર થતી ગટર સમસ્યા સહિતના મામલે સુધારણા જરૂરી ગણાવાઇ હતી. આ મામલે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
2007માં સિમેન્ટના રસ્તા બનાવાયા બાદ સમારકામની જરૂર
માતાના મઢના સરપંચ કાસમભાઇ કુંભાર, ઉપસરપંચ હિતેષભાઇ મહેશ્વરી, ઇબ્રાહિમ કુંભાર, અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓ દ્વારા કચ્છ કલેક્ટર આનંદ પટેલની રૂબરૂ મુલાકાત લઇ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2007માં સિમેન્ટના રસ્તા બનાવાયા બાદ ગટર યોજનાને લગતાં કાર્યો માર્ગ સમારકામની જરૂર હોવાનું જણાવ્યું હતું. બજાર ચોકથી મંદિરના ગેટ નં. 4ના વિસ્તારમાં ચોમાસાં દરમ્યાન પાણીનો પ્રવાહ વહે છે, જેથી કાદવ-કીચડની સમસ્યા સર્જાય છે.
નવરાત્રિ અને દિવાળી પહેલાં સમારકામ અનિવાર્ય
નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમ્યાન લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવે છે, ત્યારે તેમને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક અસરથી આ રસ્તાઓ બનાવવા માંગ કરાઇ હતી. સરપંચ કાસમભાઇના જણાવ્યા અનુસાર કલેક્ટર દ્વારા આ રસ્તા કામો માટે યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે સંકલન સાધી તાત્કાલિક ઉકેલ લવાશે તેવી બાંહેધરી અપાઇ હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA