વડોદરા, 25 જુલાઈ (હિ.સ.)- વડોદરામાં ફાયર સલામતી અંગે ગંભીરતા દાખવતા મનપાએ 236 હોસ્પિટલો માટે ફાયર એનઓસી ચેકિંગની કામગીરી શરૂ કરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ હતી જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટ, વિકાસકામો અને સુરક્ષા મામલાઓ અંગે ચર્ચા થઈ હતી.
બેઠકમાં વર્ષ 2024-25 માટેના વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ જે કામો હાલ પેન્ડિંગ સ્થિતિમાં છે, તેના પર તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી.
સાથે સાથે, રાજ્ય સરકાર અને હાઇકોર્ટના સૂચનો અનુસાર પાલિકા દ્વારા ફાયર એનઓસી અંગે 236 હોસ્પિટલોનું લિસ્ટ તૈયાર કરાયું છે. આ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી પ્રમાણપત્ર (NOC) રીન્યૂ ન કર્યાની સ્થિતિમાં તાકીદે કાર્યવાહી કરવામાં આવશે.
પાલિકાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જે હોસ્પિટલોએ ફાયર એનઓસી સમયસર રીન્યૂ કરાવ્યું નથી, તેમના પર દંડાત્મક પગલાં લેવામાં આવશે. હાલે સમીક્ષા માટે ખાસ ટીમો દ્વારા ચેકિંગ શરૂ થઈ ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે