પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : હરિદ્વારથી શરૂ થયેલી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી કાવડ યાત્રા આજે પાટણ પહોંચી હતી. 17 શિવભક્તોના જૂથે 11 દિવસમાં 1220 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. યાત્રાનું સમાપન અડીયાના દુધેશ્વર મહાદેવ મંદિરે હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે થવાનું છે. યાત્રાનું ભવ્ય સ્વાગત અડીયા ગામના ગ્રામજનો, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ તેમજ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.
યાત્રા દરમિયાન કાવડિયાઓએ કઠોર નિયમોનું પાલન કર્યું હતું. તેમણે ખાટલામાં ઊંઘવાનો ત્યાગ કર્યો, લસણ-ડુંગળી વિનાનું ભોજન લીધું અને સતત ‘ઓમ નમઃ શિવાય’ના જાપ કર્યા. દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે રૂ. 2.25 લાખનું વીમા કવચ આપવામાં આવ્યું છે. યાત્રા પાટણના બગવાડા દરવાજેથી શરૂ થઈ મુખ્ય બજાર માર્ગે અનાવાડા દરવાજા થઈ દુધેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી છે.
દુધેશ્વર મહાદેવ મંદિર 500 વર્ષથી વધુ જૂનું અને સ્વયંભૂ છે. ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકીનું આ એક જાગીરદાર મઠ છે. અહીં ગુરુ ગેડાગીરી મહારાજની જીવંત સમાધિ આવેલ છે. મોડી સાંજે કુણઘેર ગામના લોકોએ બસ સ્ટેન્ડ ખાતે યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું. અજમાન સાગરભાઈ રાયકાએ યાત્રાળુઓ માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી છે.
શનિવારના રોજ સવારે 9 વાગ્યે વાળીનાથ મહાદેવના મહંતશ્રી જયરામગીરી મહારાજનું આગમન થશે. 9:30 વાગ્યે ઢોલ-નગારાની ગર્જના સાથે કાવડ યાત્રા નીકળશે. 10 વાગ્યે મહંતશ્રી ગજાનંદગીરી અને જયરામગીરી મહારાજ દ્વારા યાત્રાનું સામૈયું કરવામાં આવશે. 10:30 વાગ્યે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાશે. આ સમારંભમાં અંદાજે 3થી 5 હજાર લોકો હાજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર