બોટાદ, 26 જુલાઈ (હિ.સ.) : કારગિલ વિજય દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા વિવિધ રાષ્ટ્રભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરમાં આવેલા નાગલપર દરવાજા નજીક સ્થિત સૈનિકોની પ્રતિમા તેમજ ટાવર રોડ પર આવેલી પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે યુવા મોરચાના કાર્યકરો અને આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે પ્રતિમાના આસપાસ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. દેશ માટે જીવનું બલિદાન આપનાર શહીદ જવાનોની યાદમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા, મહામંત્રી જગદીશભાઈ મકવાણા, તેમજ યુવા મોરચાના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન એક આર્મી જવાનનું શાલ ઓઢાડીને તથા પુષ્પહાર પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ બોટાદ જિલ્લા પ્રમુખ મયૂરભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ નીતાબેન લખાણી, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયા અને વાઈસ ચેરમેન છનાભાઈ કેરાળીયા, જિલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ ચેતનભાઈ ઝાલા સહિત અનેક આગેવાનો, નગરપાલિકા સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી રાષ્ટ્રીય ભાવનાનું સંવર્ધન થવા પામ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai