પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : સેવાકાર્યમાં સદાય અગ્રેસર રહેલ પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા શ્રાવણ માસને આધ્યાત્મિક તિર્થ તરીકે મનાવતા પવિત્ર સંકલ્પ સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગ અને નિઃસ્વાર્થ સેવાના ભાવથી પોરબંદર ખાસ જેલમાં રહેલા આશરે 250 જેટલા કેદીઓને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિવિધ પ્રકારની અવનવી ફરાળી વાનગીઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ કેદીઓ શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન રહી ઉપવાસ અથવા ફરાળ કરવાના નિમિત્તે આવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ શ્રદ્ધા અને ભાવના પૂર્વક ધાર્મિક પાલન કરી શકે. સમગ્ર માસ દરમ્યાન કેદીઓ સુધી જમવાનું પહોંચાડવા માટે વિશિષ્ટ આયોજન અને સંકલન કરવામાં આવ્યું છે.આ ઉમદા સેવાયજ્ઞને ખાસ જેલના અધિક્ષક પી.એચ.જાડેજા સાહેબ અને જેલના અધિકારીઓ તથા કેદીઓ દ્વારા પણ ખૂબ જ આવકાર મળ્યો છે. આવા કાર્યક્રમો માત્ર ભૌતિક સેવા પૂરતા મર્યાદિત નહીં રહેતાં, કેદીઓના મનોબળને મજબૂતી આપે છે અને માનવીય મૂલ્યોને ઉજાગર કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya