ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દુર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરવા આદેશ કરવામાં આવ્યાં છે.
આ સંદર્ભમાં ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના શ્રી સરકાર સદરે આવેલ સ.નં.૧૮૫૧ અને ૧૮૫ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ઝુંબેશના ભાગરૂપે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણમાં આવેલ શ્રી સરકાર સદરેની સ.નં.૧૮૫૧ અને સ.નં.૧૮૫ર વાળી જમીન પરના ધાર્મિક દબાણ તાજેતરમાં દુર કરવામાં આવ્યાં છે.
આ જમીન પર અન્ય વ્યકિતઓના પ્રવેશ કે દબાણ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણ, કોમી હિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાતાં જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા અગમચેતીના પગલા લેવાના ભાગરૂપે અન્ય કોઈ ઈસમ/સંસ્થા/કંપનીના પ્રવેશબંધી અંગેનું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૦૧/૦૮/૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ