ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના નોટિફિકેશન સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) કે જેને સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે સૂચના આપવામાં આવી છે. જેમાં પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈપણ પ્રાણીની બિનજરૂરી પીડા કે વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ન અપનાવવા અને ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ગ્લુટ્રેપ, જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપવાળી સપાટી પર ચાલે છે અથવા તેના ઉપર ઉતરે છે ત્યારે, તેઓ ગુંદરની જાળમાં ચોંટી જાય છે ત્યારબાદ ઉંદર પોતાની રીતે મુક્ત થવા અસમર્થ હોય છે. જેના પરિણામે ડિહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.
આથી, પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓની ચૂસ્તપણે અમલવારી થાય તે માટે ગ્લુટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૩૧/૦૭/૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ