પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના પરિપત્ર મુજબ સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, સમી તથા મામલતદાર અને પ્રાંત કચેરીના સંયુક્ત ઉપક્રમે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ હરઘર તિરંગા કાર્યક્રમના દ્વિતીય તબક્કા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. NSS વિભાગ દ્વારા યોજાયેલી આ રેલીમાં NSS સ્વયંસેવકો, કૉલેજ અને શાળાના વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓના કર્મચારીઓ તથા સમી ગામના પ્રબુદ્ધ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
રેલી દરમિયાન સહભાગીઓના હાથમાં લહેરાતા ભારતીય તિરંગા સાથે સમગ્ર સમી ગામ દેશભક્તિમય રંગમાં રંગાઈ ગયું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન તેમજ રાષ્ટ્રભાવના પ્રગટાવવાનો હતો.
આ પ્રસંગે NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિબેન પ્રજાપતિ, કૉલેજના પ્રાધ્યાપકો તથા તમામ અધ્યાપકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહ્યા. કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદનું માર્ગદર્શન અને તમામ અધ્યાપકોનો સહકાર કાર્યક્રમની સફળતા માટે મહત્વપૂર્ણ બન્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર