ભુજ – કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.): 15મી ઓગષ્ટ 2025 એટલે દેશ આઝાદ થયો તેના 78 વર્ષ પૂર્ણ થશે. ત્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને આ અભિયાનમાં દરેક દેશવાસીઓને જોડાવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. ભારત દેશના દરેક નાગરીકમાં પોતાની માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમ કેળવાય તે માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો ધ્વજ ફરકાવવાના નિયમોની ખબર ના હોય અને તેના નિયમ વિરૂદ્ધ ધ્વજ ફરકાવવામાં આવે તો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. તેથી આવો આપણે જાણીએ રાષ્ટ્રધ્વજને સાચી રીતે ફરકાવવાના નિયમો વિશે…
કયા સ્થળોએ તિરંગો લહેરાવી શકાય?
રાષ્ટ્રધ્વજને ક્યારે, કેવી રીતે અને કયા સમયે ફરકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ ફ્લેગ કોડ 2002માં અમલમાં મુકવામાં આવ્યો છે. જેને ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા’ કહેવામાં આવે છે. આ કોડમાં રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય તેમજ તૂટી ગયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થા વિશે નિર્દેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ‘હર ઘર તિરંગા’ અભિયાનને ધ્યાને રાખીને 2022માં આ નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યાં હતાં. જે મુજબ જાહેરમાં કે વ્યક્તિગત રીતે, ઘરમાં, દિવસ અને રાતે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પહેલા રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો.
ડ્રેસ મટિરીયલ્સમાં ઉપયોગ ન કરાય
રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથરૂમાલ, નેપકીન સહિતના કોઇ પણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી. કોઇ પણ વસ્તુને વિટાંળી શકાતો નથી. નિયત કરાયેલા મહાનુભાવોની કારની આગળ જ રાષ્ટ્રધ્વજ લગાવી શકાય છે.
આ નિયમો જાણવા જરૂરી છે
1. નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ કે મશિન દ્વારા કોટન, પોલીએસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે.
2. આ નિયમમાં 2021માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલીએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે.
3. રાષ્ટ્રીય ધ્વજનો આકાર લંબચોરસ રાખવો ફરજિયાત છે. પણ, તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઇ અને પહોળાઇનું પ્રમાણ 3 અને 2 ના ગુણાંકમાં રાખવું પડે છે.
4. જાહેર કે ઘરની મોભેદાર સ્થાન ઉપર ધ્વજ ફરકાવવાનો રહે છે.
5. ક્ષત એટલે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઇએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઇએ.
6. રાષ્ટ્ર ધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો. એટલે તેની સાથે બીજો કોઇ ધ્વજ લહેરાવી શકાય નહીં.
7. એક લાઇનમાં એક કરતા વધારે ધ્વજ ફરાવવામાં આવ્યો હોય તેવા સમયે તિરંગોથી ઉંચે રહે એવી રીતે કોઇ અન્ય ધ્વજ ફરકાવી શકાતો નથી.
જાળવણી આ રીતે કરવી યોગ્ય છે
ક્ષત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહિ, તેનું માન જાળવાય રીતે નિકાલ કરવો જોઇએ. આ તમામ નિયમોનો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખ કરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA