જૂનાગઢ 12 ઓગસ્ટ (હિ.સ.) સમગ્ર રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, શહેર મેયર ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના વિવિધ પદાધિકારીગણ, ઇન્ચાર્જ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને અન્ય અધિકારીગણ, મહંત મહેશગીરી બાપુ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
બહાઉદ્દીન કોલેજના પરિસરમાં સુંદર મજાની દેશભક્તિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયકોના કંઠે ગવાયેલા દેશભક્તિ ગીતોને નાગરિકોએ મન ભરીને માણ્યા હતા. આ ઉપરાંત પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની વિવિધ ધૂન વગાડવામાં આવી હતી.
આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકઓ, વિવિધ કચેરીઓના કર્મયોગીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વેપારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, હોમગાર્ડઝના જવાનો, એન.સી.સી. કેડેટસ, સફાઈ કર્મચારીઓ, પોલીસના જવાનો સહિતના ઉત્સાહભેર જોડાયા હતા. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના અંતે ઉપસ્થિત સર્વેએ દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ