જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આ વર્ષની થીમ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ અંતર્ગત તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે જામનગર તાલુકાના ઢીંચડા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મેઈન ગેઇટથી યાત્રાની શરૂઆત થઇ હતી. અને ગામમાં થઇ પુનઃ મુખ્ય દ્વાર પાસે તિરંગા યાત્રા પૂર્ણ થઇ હતી. હાથમાં તિરંગા સાથે બહોળા પ્રમાણમાં લોકોની ઉપસ્થિતિના પરિણામે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી સમગ્ર રૂટ ગુંજી ઊઠ્યો હતો.
આ તિરંગા યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી એ.બી.જોષી, જામનગર ગ્રામ્ય મામલતદાર એમ.જે.ચાવડા, બેડી મરીન પોલીસ ચોકીના પી.આઈ. ચૌધરી, અધિકારીઓ, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt