અમરેલી , 16 ઓગસ્ટ (હિ.સ.): સાવરકુંડલામાં ગત મહિને ધોધમાર વરસાદના કારણે ગઢીયા પંપથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં આવી ગયો હતો. રસ્તા પર એક-એક ફૂટના ખાડા પડતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને વોર્ડ નં. 7ના યુવા કોર્પોરેટર નાસીર ચૌહાણને અનેક ફરિયાદો મળી હતી.
સાતમ-આઠમ જેવા મોટા તહેવારો પહેલા વિસ્તારના લોકોને હેરાનગી ન પડે તે હેતુથી આજે વહેલી સવારે પાલિકા પ્રમુખની સૂચના મુજબ નાસીર ચૌહાણ જાતે જ રોડ રીપેરિંગના કામે લાગી ગયા. મજૂરોની અછત હોવા છતાં તેમણે પોતે ડ્રિલિંગ મશીન હાથમાં લઈને ખાડા સાફ કર્યા અને પેચ વર્ક દ્વારા તમામ ખાડા પુર્યા.
‘જાત મહેનત – જિંદા બાદ’ના સૂત્ર સાથે કરાયેલ આ કામગીરીથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નાસીરભાઈની પહેલથી તહેવારના દિવસોમાં રાહદારીઓને હાડમારીથી મુક્તિ મળશે. વિસ્તારના લોકોએ પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને કોર્પોરેટર નાસીર ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai