ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ, તેમજ શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સવા લાખ વિવિધ પૂષ્પો, લાઈટિંગ, અને વિવિધ શુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને ભવ્યતાથી શણગારવામાં આવેલ હતા. સમગ્ર દિવસ દરમ્યાન ભક્તો શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતકૃતાર્થ થયા હતા. તો સાથે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભાલકા તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભગવાન કૃષ્ણનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ગોલોકધામ તીર્થ ખાતે ચીફ એકાઉન્ટન્ટ શ્રી અજયકુમાર દુબે એ મહાપૂજા કરી હતી.
જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના અવતરણની પાવન ક્ષણે રાત્રે 12:00 વાગ્યે ભગવાન કૃષ્ણની મહા આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મધ્ય રાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીને જય રણછોડ માખણચોર, અને નંદ ઘેર આનંદ ભયો ના નાદ સાથે વધાવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ મિસરી, પેંડા, ચોકલેટ નું ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ લાખો ભક્તોએ ઘરેબેઠા લીધેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ