મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના અનોખા ઉપક્રમે રાજધાની ફાઉન્ડેશન દ્વારા “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દેશના શહીદોની યાદમાં આયોજિત આ ભવ્ય લોકડાયરામાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન લોકગાયકોએ દેશભક્તિથી ઓતપ્રોત ગીતો રજૂ કર્યા હતા, જેના સ્વરો સાંભળીને સમગ્ર પ્રેક્ષાગૃહ દેશભક્તિના જજ્બાથી ગૂંજી ઊઠ્યું હતું. શહીદોના બલિદાનને યાદ કરતાં સૌની આંખો ભીની થઈ ગઈ હતી અને પ્રેક્ષકોમાં દેશપ્રેમનો ઉત્સાહ છલકાયો હતો.
આ પ્રસંગે રાજધાની ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોને અર્પણ કરનારા શહીદોને યાદ રાખવું દરેક ભારતીયનું કર્તવ્ય છે. આવાં કાર્યક્રમો દ્વારા નવી પેઢીને દેશપ્રેમનો સંદેશ પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશનના તમામ સભ્યો, કલાકારો અને શ્રોતાઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. દેશભક્તિની અનોખી ઉજવણી રૂપે યોજાયેલા આ લોકડાયરાને ઉપસ્થિત લોકોએ યાદગાર બનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR