પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : વયમર્યાદાના કારણે ૩૧ જુલાઈ ૨૦૨૫ના રોજ સિધ્ધપુર નગરપાલિકાના કર્મચારીઓ રાકેશભાઈ શાહ અને બ્રિજેશભાઈ બલસારા સેવાનિવૃત્ત થતા સિધ્ધપુર નગરપાલિકા સ્ટાફ અને બોર્ડના સભ્યો દ્વારા તેમને ભવ્ય વિદાયમાન આપવા નગરપાલિકા હૉલ ખાતે સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમમાં નગરપાલિકા અધ્યક્ષા અનિતાબેન પટેલ, મુખ્ય અધિકારી કૃપેશભાઈ પટેલ, મ્યુ. સદસ્યો નારીભાઈ લસ્સીવાલા, અંકુરભાઇ મારફતિયા,જયાબેન શાહ, કપિલભાઈ પાધ્યા, રાજુભાઈ ઠાકોર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો ભરતભાઈ મોદી, નિરંજનભાઈ ઠાકર, ભુરાભાઈ પઠાણ, મહેશભાઈ પટેલ વિગેરે તેમજ નગરપાલિકાના સાથી કર્મચારીઓ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ નરેન્દ્રભાઇ પરમાર, ઓવરસીસ એન્જિનિયર ધર્મેશભાઈ ધોરી, વોટરવર્ક્સના એન્જિનિયર પટણીભાઇ, ગિરીશભાઈ સહિતના તમામ કર્મચારીઓએ ઉપસ્થિત રહી બંને કાર્યદક્ષ સાથીઓની સેવાઓને બિરદાવીને તેમનું સન્માન કરી ભવ્ય વિદાયમાન આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ શાહે નગરપાલિકાના વિવિધ વિભાગોમાં અને બ્રિજેશભાઈ બલસારાએ ફાયર તથા ડિઝાસ્ટર વિભાગમાં સતત ૩૬ વર્ષ અસરકારક રીતે સેવાઓ આપી હતી. બ્રિજેશભાઈ બલસારાના નેતૃત્વમાં સિધ્ધપુર નગરપાલિકાના ફાયર અને ડિઝાસ્ટર વિભાગની ટીમ ફક્ત સિધ્ધપુર માંજ નહીં પણ આજુબાજુના ગામો અને શહેરોમાં જ્યાં પણ વર્ધી મળી ત્યાં પહોંચીને આગ અને આપત્તિના સમયમાં લોકોના જાનમાલની રક્ષા કરવામાં અગ્રેસર રહીને સિધ્ધપુરનુ હંમેશા ગૌરવ વધાર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર