જામનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સમાન છે. જામનગર ખાતે કાર્યરત ૧૮૧ હેલ્પલાઈન પર ફોન કરીને એક જાગૃત નાગરિકે જણાવેલ કે કોઈ મહિલા વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી ઓટલા પર ગભરાયેલી હાલતમાં બેઠા છે અને મદદની જરૂર છે.
કોલ આવતાની સાથે જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સેલર રીનાબેન દિહોરા, હેડ કોસ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કર્યા બાદ જાણવા મળેલ કે, પોતાના પતિ સાથે ઝઘડો થતાં તેણીએ બે દિવસથી ઘર છોડી દીધું છે અને અંતરિયાળ વિસ્તારમાં રહે છે. તેમના પતિ વારંવાર પિયર જતા રહેવા જણાવે છે અને હાલ તેઓને પિયર ન જવું હોવાથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે.
બાદમાં અભયમની ટીમ દ્વારા મહિલાને સાંત્વના પાઠવી એડ્રેસ અને મોબાઈલ નંબર મેળવ્યા હતા. અને સાસરિયામાં જઈ તેના પતિ પતિનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજણ આપી હતી. બાદમાં તે મહિલાને ખોટી ધમકી કે ઘરની બહાર નીકળી જવા મજબૂર નહી કરે તેવી બાંહેધરી સાથે સુખદ જીવનની શરૂઆત કરવા સહમત થતા અભયમની ટીમે તેણીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT