પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ નગરપાલિકા દ્વારા દશામાના વ્રતના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું છે કે શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિઓ નદી કે કેનાલમાં પધરાવવાને બદલે મંદિર પાસે બનાવેલા કૃત્રિમ કુંડમાં પધરાવવી જોઈએ.
શ્રદ્ધાળુઓ પોતાના હાથે કૃત્રિમ કુંડમાં મૂર્તિઓ પધરાવી શકે છે અથવા ત્યાં હાજર સ્વયંસેવકોને મૂર્તિઓ સોંપી શકે છે. નગરપાલિકાની ટીમ અને સ્વયંસેવકો આ મૂર્તિઓ એકત્ર કરીને તેને ટ્રેક્ટરમાં ભરી વિધિવત રીતે નદીમાં પધરાવશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જળ પ્રદૂષણ અટકાવવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. નગરપાલિકાએ તમામ ભક્તોને વિનંતી કરી છે કે તેઓ આ પર્યાવરણ હિતૈષી કાર્યમાં સહકાર આપીને ધાર્મિક પરંપરાનું પાલન અને પર્યાવરણની રક્ષા બંને સાથે જ કરાવે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર