પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં રસ્તાના ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વિસ્તારના સી.સી. રોડમાં પડેલા ખાડાઓની સમસ્યાને લઈ નગરપાલિકાના કોર્પોરેટર જયેશભાઈ પટેલે લોકભાગીદારીથી આ સમસ્યાનું ઉકેલ લાવવાની પહેલ હાથ ધરી છે.
'બધું નગરપાલિકા જ કરશે' જેવી માનસિકતાથી આગળ વધી, જયેશભાઈએ આસપાસના નાગરિકોનો સહયોગ મેળવી ખાડાઓ કેમિકલ સોલ્યુશનથી ભરવાની કામગીરી શરૂ કરી છે. આ પ્રયાસથી માત્ર રસ્તાની સ્થિતિ સુધરી છે નહીં પરંતુ નાગરિકોમાં પણ પોતાની જવાબદારીની સમજ ઉદ્દભવી છે.
આ કાર્ય દ્વારા સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચ્યો છે કે જો નાગરિકો અને પ્રતિનિધિઓ સહકાર આપે તો સ્થાનિક સમસ્યાઓના ઝડપી ઉકેલ શક્ય બને છે. અંબાજી નેળિયાની આ પહેલ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ