મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)વિસનગર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ભાન્ડુ ગામનું તળાવ છલકાઈ ગયું છે. 30 એકર વિસ્તારમાં ફેલાયેલું અને આશરે 30 ફૂટ ઊંડું આ તળાવ ગામની જીવાદોરી સમાન છે. તળાવ ઓવરફ્લો થતાં સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. તળાવનું પાણી કુવાઓ અને બોરવેલ સુધી પહોંચતા ભૂગર્ભજળનું સ્તર વધશે, જેનાથી ખેતી અને પીવાના પાણીની સમસ્યા દૂર થવાની આશા છે.
નવા નીરના વધામણાં માટે ગ્રામ પંચાયત દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સરપંચ રિંકેશાબેન પટેલ, તેમના પતિ તથા પૂર્વ સરપંચ કલ્પેશભાઈ પટેલ (ગોપી), ઉપસરપંચ મયુરભાઈ સહિત પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને તળાવની પાળે પૂજા-અર્ચના કરી નવા નીરના આગમનનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગામમાં જળ સંરક્ષણના મહત્વને પણ ફરી એકવાર ઉજાગર કરવામાં આવ્યું હતું. તળાવ ભરાવાથી પાણીનો સદુપયોગ થઈ શકે છે અને ભવિષ્યમાં પાણીની તંગી દૂર થશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. નવા નીરના આ આગમનથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને સૌએ કુદરતી દાતાને આભાર માન્યો હ
તો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR