મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રંથાલયના નિયમિત વાચકો ઉપરાંત સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે બાબુભાઈ ગોપાલદાસ સોનીએ મેઘાણીજીના સાહિત્ય પર પ્રકાશ પાડતા તેમની રચનાઓ, જીવનદર્શન અને લોકસાહિત્ય માટેના યોગદાન અંગે માહિતગાર કર્યા હતા.
પ્રદર્શનમાં ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ, શૌર્યગીતો, લોકસાહિત્ય સાથે જોડાયેલા ગ્રંથો, સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન આધારિત પુસ્તકો તથા અન્ય વિવિધ સાહિત્ય કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પુસ્તકોનું અવલોકન કરવા માટે વાચકો તેમજ સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પુસ્તકાલય દ્વારા આયોજિત આ પુસ્તક પ્રદર્શનથી યુવા પેઢી સહિત સાહિત્ય પ્રેમીઓને રાષ્ટ્રીય શાયર મેઘાણીજીના કાવ્યો, લોકગીતો અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા સાહિત્યની નવી ઝાંખી મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR