જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.):જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૧૯ પૈકી ૧૭ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રયાસો કર્યા હતા.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે જાહેર રસ્તાઓની મરામત, વરસાદી પાણીને અટકાવવા અંગેની ફરિયાદ, કેનાલ રિપેર કરી સિંચાઈ માટે પાણી ઉપ્લબ્ધ કરાવવુ, આયુર્વેદ દવાખાનાનું કામ શરૂ કરવુ, હકપત્રકે યોગ્ય નોંધ થવા બાબત, ખાનગી માલીકીની જગ્યામાં દબાણ, કેનાલથી ખેતર સુધી પાઈપ લાઈન માટે મંજુરી આપવી, પીવાના પાણીનું નળ કનેક્શન, સ્ટ્રીટ લાઇટ અને સી.સી.રોડ બનાવવા, જોખમી કચરાનો યોગ્ય નિકાલ કરવા, જી.જી.હોસ્પીટલમાં સોનોગ્રાફી મશીનની સુવિધા વધારવા, ખાનગી માલિકીની જગ્યા પર નડતર રૂપ સ્ટ્રક્ચર દૂર કરવા, ખેતીવાડી માટે વિજ કનેક્શન મેળવવા, સરકારી ખરાબાની જમીનમાં દબાણ દૂર કરવા વગેરે જેવા પ્રશ્નોને કલેકટરે સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.અરજદારોએ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ, સિંચાઈ વિભાગ, ઉંડ જળ સિંચન વિભાગ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, પી.જી.વી.સી.એલ.ના અધિકારી તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt