ગીર સોમનાથ, 28 ઓગસ્ટ (હિ.સ.) થિએટર, શોપિંગ મોલ, હોસ્પિટલ, લાઈબ્રેરી સહિત જાહેર તથા ખાનગી સ્થળો જ્યાં બહોળા પ્રમાણમાં લોકો એકઠાં થાય છે ત્યાં તકેદારીના પગલાં લેતા ફાયર સેફ્ટી અંગેના પ્રમાણપત્ર સહિતના સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલા સર્ટિફિકેટની વિગતો જાહેરમાં દર્શાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં આવેલી તમામ જાહેર તથા ખાનગી સ્થળો જ્યાં બહોળા પ્રમાણમાં લોકો એકઠાં થતાં હોય તેવી તમામ જગ્યાઓ જેવી કે, ઓડિટોરિયમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, સિનેમા ગૃહ, ગેમિંગ ઝોન, નાટ્ય ગૃહ, શોપિંગ મોલ, હોસ્પિટલ, લાયબ્રેરી, મ્યૂઝિયમ, પેટ્રોલપંપ, રેલવે સ્ટેશન ઔદ્યોગિક એકમ વગેરેમાં સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્ર સહિત નમૂનાનું સાઈનબોર્ડ લોકો જોઈ શકે એ રીતે રાખવા જણાવાયું છે.
આ નમૂનાના સાઈનબોર્ડમાં પહેલી કોલમમાં ફાયર સેફ્ટી પ્રમાણપત્ર, બિલ્ડિંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડિંગ યુટિલાઈઝેશન પરમિશન, ઈલેક્ટ્રીકલ ટેસ્ટ સર્ટિફિકેટ, લીફ્ટના ઉપયોગ માટેનું લાયસન્સ, સી.સી.ટી.વી. કેમેરા ચાલુ હાલતમાં હોવાની વિગતો તેમજ બીજી કોલમમાં પ્રમાણપત્ર ઈશ્યૂ કરનાર ઓથોરિટી, ત્રીજી કોલમમાં હૂકમ નંબર તથા તારીખ, ચોથી કોલમમાં વેલિડિટી અને પાંચમી કોલમમાં રિમાર્ક્સ દર્શાવવાના રહેશે.
આ જાહેરનામું ૨૮ ઓગસ્ટથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ અનુસાર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ