અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 79 ટકાથી વધુ જળસંગ્રહ
ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા
વરસાદ


ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.

ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande